



મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં છેલ્લા થોડા દિવસો પહેલા ૧૫ જેટલા વ્યક્તિઓના ૫ લાખથી વધુની રકમ બેન્કના એ.ટી.એમ. મશીન દ્વારા ઉપાડી / ટ્રાન્સફર કરી લેવામાં આવેલ છે.જે સિલસિલો હજુ ચાલુ રહેવા પામેલ છે.
મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીના જણાવ્યા પ્રમાણે એટીએમ અને ઓનલાઈન ફ્રોડની તપાસ દરમ્યાન એવી શંકા જણાઇ આવેલ છે કે મોરબીના સામા કાંઠાના કોઇ બેન્કના એ.ટી.એમ.માં જે તે વખતે કોઇ સક્રીમર ડીવાઇસ લગાડીને તે દરમ્યાન જે જે ગ્રાહકો એ.ટી.એમ. માં પૈસા ઉપાડવા ગયેલ ત્યારે તેમના એ.ટી.એમ.ના ડેટા સક્રીમીંગ ડીવાઇસ દ્વારા કોપી કરી લઇ અને તે ડેટા ઉપરથી કલોનીંગ કરી નવું ડુપ્લીકેટ એ.ટી.એમ. બનાવીને તેનો ઉપયોગ કરીને નાણા ઉપાડી લેવામાં આવેલ છે.
જે બનાવો હજુ પણ ચાલુ રહેતા મોરબી શહેર તથા આજુ બાજુમાં રહેતા તમામ બેન્ક એ.ટી.એમ. / ક્રેડીટ કાર્ડ ધારકો પોતાના ૪ આંકડાનો પિન નંબર શકય તેટલું જલ્દી બદલી નાખે તો વધુ બનતા બનાવો અટકાવી શકાય.
અન્ય કાયમી સુચનાઃ
- જયારે બેન્ક એ.ટી.એમ.ની વિજિટ કરવામાં આવે ત્યારે એ.ટી.એમ. કાર્ડ મશીનમાં ઇન્સર્ટ કરતી વખતે એ.ટી.એમ. સ્લોટમાં અન્ય કોઇ ડીવાઇસ લાગેલ છે કે કેમ? જો આવું ડીવાઇસ લાગેલ હશે તો બ્લીંકીંગ લાઇટ જોવામાં નહિ આવે. તો તે એ.ટી.એમ. નો ઉપયોગ કરવાનું ટાળવું અને નજીકના પોલીસ સ્ટેશન / બેન્કને જાણ કરવી.
- એ.ટી.એમ.નો ઉપયોગ કરતી વખતે પિન નંબર નાખતી વખતે કી પેડ પર અન્ય કોઇ પાતળું લેયર તો લગાડવામાં આવેલ નથી ને? તે જોવું તથા પિન એન્ટર કરતી વખતે બીજા હાથથી આડશ રાખવી.
- સામાન્ય રીતે આવા સક્રીમીંગ ડીવાઇસ મોડી સાંજે અથવા વહેલી સવારે લગાડવામાં આવતા હોય છે. અને ખાસ કરીને ઓછી અવર જવર વાળા વિસ્તારમાં જયાં એ.ટી.એમ. હોય ત્યાં આવા ડીવાઇસ લગાડવામાં આવતા હોય છે. તેમજ જયાં બેન્ક દ્વારા એ.ટી.એમ. મશીન પર સીકયોરીટી ગાર્ડ રાખવામાં આવેલ ન હોય તેવા એ.ટી.એમ. પર ખતરો રહે છે.
બેંક ધારકોને પોતાનો એટીએમ પીન નંબર જો શકાય હોય તો બદલી નાખવા અને આવા બનાવી વધુ ન બને તે માટે સતર્ક રહેવા તેમજ જો કોઈ વ્યક્તિના બેંક ખાતા માંથી પૈસા ખાતા ધારકની જાણ વગર ઉપડી જવાના બનાવ સામે આવે તો મોરબી પોલીસને જાણ કરવા મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરી એ જણાવ્યું હતું.